Search This Blog

Thursday, May 31, 2012

Let's get started...........

પટેલ ઇતિહાસ

        પટેલ અથવા પાટીદાર અથવા કણબી  ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની એક મુખ્ય જ્ઞાતિ છે. પટેલોમાં લેઉવા પટેલ અને કડવા પટેલ એમ બે પેટા જ્ઞાતિ છે. તેઓ કુર્મઋષિનાં વંશજો હોવાનુ મનાય છે તેથી તેઓ શરૂઆતમાં કુર્મી તરીકે જ ઓળખાતા હતાં. ઈતિહાસકારોનાં મત અનુસાર પટેલો મધ્ય એશિયા માં આસુ નદી પાસે પામીર નામનાં ઉચ્ચ પ્રદેશમાં વસતા હતાં. ત્યાંથી એક સમુહે અફઘાનિસ્તાન માં થઈને હિન્દુકુશ પર્વતમાળા ઓળંગી ખૈબરઘાટનાં માર્ગે પંજાબ માં દાખલ થઈને વસવાટ કર્યો હતો તેમ કહેવાય છે.
પંજાબમાં ઘણો સમય સ્થિર રહ્યા બાદ પરદેશી અને દેશી રાજાઓનાં આક્રમણોને કારણે પંજાબ માંથી છુટા પડેલા સમુહે પોતાની અસલ ભુમિ અને જાત વિસ્મૃત ન થઈ જાય તે માટે પંજાબ નાં કરડવા વિસ્તારનાં અસલી વતનીઓએકરડવા કુર્મી અને લેયા અથવા લેહ વિસ્તારનાં વતનીઓ લેયા કુર્મી એવા વિશેષણો ધારણ કરીને ગંગા જમનાની ખોણો તરફ આગળ વધીને ઉતર હિન્દુસ્તાન માં પોતાનો જમાવ કરતી કરતી મધ્ય હિંદ એજન્સી, મધ્યપ્રાંત, ખાનપ્રદેશ અને છેવટે વિક્રમ સંવત ૭૦૦ ની આસપાસ ગુજરાત માં આવીને વસ્યા હતાં. ત્યારબાદ કાળક્રમે કુર્મી શબ્દ પરથી કુનબી અને પછીથી અપભ્રંશ થઈને કણબી શબ્દ બન્યો છે.કડવા પાટીદાર ની કુળદેવી ઉમિયા માતાજી નુ મંદિર ઉંઝામા આવેલુ છે.

સરદાર વલ્લભભાઈ પટેલ

સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.
તેમનો ઉછેર ગુજરાતના ગામડા (કરમસદ)માં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાતની પ્રેક્ટિસ દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થાય છે. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવા તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીની સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટેના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા - રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચૈતાં હોવાથી 'પેટ્રન સૈન્ટ' તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. સરદાર, ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા.